હું એક વર્ષ પહેલાં મારા પરિવાર સાથે ગીરનાર પ્રવાસે ગયો હતો. ગીરનાર ગુજરાત રાજ્યના જુનાગઢ શહેર નજીક આવેલો એક પ્રખ્યાત અને પવિત્ર પર્વત છે. આ પર્વત તેની ધાર્મિક મહત્તા અને કુદરતી સૌંદર્ય માટે સમગ્ર ભારતમાં જાણીતો છે. ગીરનાર ને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. અહીં આવતા જ મને શાંતિ અને પવિત્રતાનો અહેસાસ થયો. ગીરનાર પર ચડવાનું સવારમાં શરૂ કર્યું. ઊંચા પર્વત પર ચડવા માટે હજારો સીડીઓ બનાવવામાં આવેલી છે. અંબાજી માતાના મંદિર સુધી ઉડન-ખટોલાની સુવિધા પણ કરવામાં આવી છે જે પર્વત ની મધ્ય માં આવેલું છે. પણ અમે ધીમે ધીમે સીડીઓ ચડીને ઉપર ચડવા લાગ્યા થોડીવાર થાક લાગી પણ પછી જેમ જેમ ઉપર ચડતા ગયા તેમ ત્યાં ની ચોખ્ખી હવા અને તાજગી ભર્યો પવન થી અમારી થાક ઓછી થઈ અમે મહાશિવરાત્રી નો મેળો ભરાય છે ત્યારે ગયા હતા જેથી ત્યાં ધણા યાત્રાળુઓ હતા.
ગીરનાર પર અનેક પવિત્ર મંદિરો આવેલાં છે. અમે પહેલા ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા. ત્યારબાદ આગળ ચડતાં દત્તાત્રેય મંદિર અને જૈન મંદિરોના દર્શન કર્યા. મંદિરમાં પૂજા-અર્ચના કરીને મનને અદભુત શાંતિ મળી. મંદિર પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈને મને ખૂબ ગમ્યું. આ પર્વત પર ચોખ્ખી હવા થી શરીરમાં એકદમ તાજગી આવી ગઈ હતી. ઉપર પહોંચ્યા પછી પર્વત પરથી દેખાતું કુદરતી દ્રશ્ય રમણીય હતું. દૂર દૂર સુધી ફેલાયેલા પર્વતો, હરિયાળા જંગલો અને જુનાગઢ શહેરનો નજારો આંખોને ઠંડક આપતો હતો. ત્યાં ઊભા રહીને મને કુદરતની મહાનતા સમજાઈ. થાક હોવા છતાં આ સુંદર દ્રશ્ય જોઈને સારો આનંદ આવ્યો.
ત્યારબાદ અમે ગીરનાર પર્વત ઉપર થી ઉતર્યા તે દિવસે અમે નાઈટ ત્યાં જ રોકાયા હતા. ત્યાં રહેવાની પણ સારી સુવિધા હતી. ત્યાં નીચે પણ ધણા નાના-મોટા મંદિરો આવેલા છે. ત્યાં ચોમાસું પત્યા બાદ જ્યારે પર્વત લીલો થઈ જાય છે ત્યારે એ પર્વત ની પરિક્રમા નું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે પણ ધણા લોકો ત્યાં જાય છે. આમ આટલો મારો ત્યાં નો અનુભવ છે.
No comments:
Post a Comment